![]() |
ફોટો ગુગલ વીકીપીડીયા ના સૌજન્યથી |
14માં સૈકા પછી સૂર્યદેવની ગણના વિષ્ણુના એક અવતાર તરીકે થવા માંડી એટલે સૂર્ય પૂજા વિષ્ણુ પૂજા નું એક અંગ બની ગઈ આ કારણ ને લઈને ભારતભરમાં સૂર્ય પૂજા નાબૂદ થવા લાગી.ગુજરાતની પ્રજાએ તો સૂર્યદેવને લોકસાહિત્યમાં તેમજ દેવપૂજાઓમા વણી લીધેલ હોવાથી ગુજરાતમાં જાણે-અજાણે સૂર્ય પૂજા આજ દિન સુધી ચાલુ રહી છે દુહા આખ્યાન અને લોકગીતો, લગ્ન ગીતો માં પણ સૂર્યદેવ વણાઈ ગયા છે.
વેદકાળમાં આર્યવેદકાલીન આર્યપ્રજા સૂર્યને દેવ માનીને અર્ધ્ય આપતી. પણ સૂર્યની મૂર્તિ પૂજા કરતી નહોતી. ભારતવર્ષમાં વસેલી આર્ય પ્રજા સુર્ય ઉપાસના કરતી હતી.વેદોમા સુર્ય ઉપાસના ના સૂક્તો જોવા મળે છે આર્યોએ આ પ્રથા ચાલુ રાખી જ્યારે મધ્ય એશિયા દક્ષિણ યુરોપ તથા અરબસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનમાં જઇ વસેલી આર્ય ટોળીઓ એ વખત જતા સૂર્યની સાથે સૂર્ય મૂર્તિની પૂજા પણ શરૂ કરી ધીમે ધીમે સૂર્યમંદિર બંધાવા લાગ્યા ગ્રીસમા ૨૨૦૦ વર્ષો પહેલા બંધાયેલ એક સૂર્ય મંદિર હાલમાં પણ મોજુદ છે.
આર્યાવર્તના રસકસથી આકર્ષાઈને પશ્ચિમમાં જઇ વસેલી તેમજ ભારતની ઉત્તરે આવેલ પ્રદેશમાંથી કેટલીક આર્યે ત્તર પ્રજાઓએ ભારતવર્ષ પર ચડાઈ કરી. ગ્રીસ દેશ ના સિકંદર નામે એક રાજાએ ઈસવીસન પૂર્વે 323 વર્ષ પહેલા ભારત વર્ષ ઉપર ચડાઈ કરી ત્યાર પછી હુણ, શક ત્રિકૂટક રાષ્ટ્રકુટો ગુર્જર મહેર અને બીજી કેટલી પ્રજાઓએ ભારતવર્ષ પર ચડાઈ કરી. સમય જતા આ બધી પ્રજાઓ ભારત વર્ષની આર્ય પ્રજા સાથે ભળી ગઈ. જે પ્રજા આર્ય પ્રજા સાથે ના ભળી તે સ્વસ્થતાને પાછી ફરી.
ભારત વર્ષના કેટલાક ઈતિહાસકારો નો તથા પુરાતત્વવિદોનો એવો મત છે કે આર્ય પ્રજા સાથે ભળી ગયેલ આર્યેતર પ્રજાના કેટલાક દેવોને આર્ય પ્રજા એ સ્વીકારી લીધા. આ દેવોમાં મુખ્ય સૂર્યદેવ ગણી શકાય.
ભારત વર્ષના પશ્ચિમ ભાગમાં જ્યાં શિલ્પ ઉપર ગાંધાર શૈલી ની અસર થઇ છે ત્યાં સૂર્ય સિવાયવાય બીજા દેવોની બે ભુજાઓ વાળી મૂર્તિઓ મળી આવી છે આ ઉપરથી કેટલાક એમ માને છે કે સૂર્ય મૂર્તિની પૂજા આર્યેત્તર પ્રજા ન લાવી હોય પણ આર્ય પ્રજા એ શરૂ કેવી હોય પણ ગાંધાર શૈલી પોતે જ પશ્ચિમની શૈલી હોવાથી સૂર્ય મૂર્તિ ની પેઠે બીજા દેવોની મૂર્તિઓ બે હાથ વાળી બની હોય.
કેટલાક પુરાવાઓને આધારે એમ કહી શકાય કે આશરે બીજા સૈકામા ઇરાન તરફથી શક પ્રજાએ દરિયા વાટે સૌરાષ્ટ્ર ઉપર હુમલો કર્યો અને દ્વારાવતી (દ્વારિકા) કબજે કર્યું . આ પ્રજા સૂર્ય તથા અગ્નિ પૂજક હોવાથી ભારત વર્ષમાં સૂર્ય અને અગ્નિ ની પૂજા લાવી હોય તો ના નહીં. દ્વારાવતી નું બંદર જીત્યા પછી શક પ્રજાએ ગુજરાત અને માળવાના અમુક ભાગ ઉપર કબજો જમાવ્યો.જીતાયેલ પ્રદેશમાં આ પ્રજાએ સુર્યમૂર્તિ ની પૂજા દાખલ કરી હશે. વખત જતા માળવાના રાજા વિક્રમાદિત્યે શક પ્રજાને હરાવી. હારેલ શક પ્રજાએ મોટાભાગે આર્યધર્મ સ્વીકારીને આર્યાવર્તમાં રહેવાનું પસંદ કર્યું શક અને આર્ય પ્રજાના મિશ્રણ પછી આ પ્રદેશમાં સૂર્ય મૂર્તિની પૂજા વધારે વ્યાપક બની હશે. વલ્લભી વંશ ના કેટલાક રાજાઓએ સૂર્ય પૂજા ને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો હતો. તે સમયે ગુજરાતમાં ઘણા સૂર્ય મંદિરો બંધાયા હતા પણ લાકડા તથા ઈંટ માટીના બાંધકામ વાળા મોટાભાગના સૂર્ય મંદિરો ભગવાન કાલમુખ ની સામે ટકી શક્યા નહીં આવા મંદિરોમાંની કેટલીક મૂર્તિઓ મળી આવી છે, જે પાંચમાં, છઠ્ઠા અને સાતમા સૈકાની હોવાનો પૂરેપૂરો સંભવ છે. વલ્લભી વંશના મોટાભાગના રાજાઓ સૂર્યદેવને પોતાના ઇષ્ટદેવ માનતા અને પોતાને સૂર્યવંશી ગણતા. વલભી રાજ્યના વિનાશ પછી વલ્લભી વંશના છેલ્લા રાજા શિલાદિત્ય ના પુત્રએ પણ સૂર્યને પોતાના ઇષ્ટદેવ માની અને તેના વારસદાર ચિત્તોડના રાણાઓ એ અને સૌરાષ્ટ્ર તથા પૂર્વ ગુજરાતના ગોહેલો એ પણ સૂર્યદેવને પોતાના ઇષ્ટદેવ માની પોતાને સૂર્યવંશી ગણ્યા છે.
દરિયા માર્ગે કે બોલનઘાટ થઈને માર્ગે સૌરાષ્ટ્રમાં આવી વસેલી એક આર્યેતર ટોળીએ આજ દિન સુધી સૂર્ય મૂર્તિની પૂજા પૂરેપૂરી જાળવી રાખી છે. આ પ્રજાએ હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવા છતાં સૂર્ય પુજાની સાથોસાથ તેના આગવા રિવાજો જાળવી રાખ્યા છે. એ સિવાય સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં વસતો કાઠી સમાજ પણ ચુસ્ત સૂર્યપૂજક સમાજ છે. તેઓ સૂર્યવંશી ગણાય છે અને સૂર્યદેવને પોતાના ઇષ્ટદેવ ગણે છે. ખરેખર કાઠી સમાજે સૌરાષ્ટ્રભરમાં સૂર્ય મૂર્તિની પૂજાને જીવંત રાખી છે. "ભલે ઉગ્યા ભાણ,ભાણ તમણા ભામણા" એ સુરજદાદા ની સ્તુતિ તો કાઠીયાવાડ ના કાઠી દરબારો ની જીભે રમતી હોય ! સૌરાષ્ટ્રમાં તો સૂર્ય મૂર્તિની સાથોસાથ સૂર્યના પત્ની રન્નાદે ની પૂજા પણ ખૂબ જ વ્યાપક બની છે . આ બધું જાળવી રાખવાનો યશ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના કાઠી સમાજ તથા સૂર્યવંશી રાજપૂતોને ફાળે જાય છે.
ગુજરાતમાં પથ્થરોના મંદિરો બાંધવાની શરૂઆત વ્યાપક રીતે સોલંકીકાળ દરમિયાન થઈ આ સમયમાં ઘણા સૂર્ય મંદિરો બંધાયા હશે. પણ હાલમાં તો થોડાક જ મોજૂદ છે. ભુવનેશ્વરનું સૂર્યમંદિર (સાબરકાંઠા) મોઢેરાનું સૂર્યમંદિર (મહેસાણા જિલ્લો) થાન નું સૂર્ય મંદિર (ઝાલાવાડ) અને સૂત્રાપાડા નું સૂર્ય મંદિર વગેરેની ગણતરી સોલંકી શ્રેણીના સૂર્યમંદિરમાં થઈ શકે . ફક્ત થાન ના સૂર્ય મંદિર નો ૧૬૯૦પછી પુનરોધ્ધાર થયો હતો. એટલે એ મંદિરમાં અમુક ભાગ સોલંકી શ્રેણીનો છે જ્યારે બાકીના ભાગ ઉપર મુસ્લિમ કાળમાં બંધાયેલા બીજા હિન્દુ મંદિરો જેવી અસર છે. છેલ્લા બે સૈકા માં કેટલાક સૂર્યમંદિરો ગુજરાતમાં બંધાયા છે, જેમાં વડોદરા નું સૂર્ય મંદિર થાન પાસે નું નવા સુરજ દેવ નું મંદિર તથા મુળી નું માંડવરાય નું મંદિર મુખ્ય છે. તદુપરાંત ખંભાત પાસેના નગરા પાસેથી પુરાણો ટીંબો ખોદતા મળી આવેલ સૂર્ય તથા સુર્યાણીની મૂર્તિઓને એક નાની દેરી બનાવીને નગરા ગામ માં રાખવામાં આવેલી છે, જેની ગણના સૂર્ય મંદિર તરીકે થઈ શકે. આ ઉપરાંત વિજયનગર પાસેના પોળોના જંગલમાં તથા કચ્છમાં કોટાઇ પાસે સૂર્ય મંદિરો હતા. તે ભગ્ન અવસ્થામાં ઉભા છે આ ઉપરાંત ભેટાળી ગામ પાસેના શિવ પંચાયતન મંદિર મા નુ એક સૂર્ય મંદિર હાલમાં મોજુદ છે. સૌરાષ્ટ્રમાં સૂર્ય પત્ની ની પૂજા પણ પ્રચલિત હોવાથી રાંદલ ના દડવા ગામે તથા ધોળા પાસે ના દડવા ગામ ની વાવમાં એમ બે રન્નાદે ના મંદિરો હાલમાં મોજુદ છે. પંચમહાલ જિલ્લાના લુણાવાડા શહેર થી સાત માઈલ દૂર મહી કાંઠા ઉપર ડોલરીયા ગામ ની સામી બાજુ એક સૂર્યમંદિરના ખંડેરો મોજુદ છે તદુપરાંત કચ્છમાં આવેલ કંથકોટ ના કિલ્લામાં એક સૂર્ય મંદિર ઉભુ છે.
પાલનપુર થી ડીસા થઈને સુઈ ગામ તરફ જતા નેશનલ હાઈવે ઉપર થરાદ થી 9 માઇલ દૂર જંગલમાં માર્તંડેશ્વર મહાદેવના મંદિરના ચોગાનમાં એક સૂર્ય મંદિર ઉભું છે. સોલંકી યુગના પહેલા સૈકામાં બંધાયેલા નાના અને એકાડી મંદિરો ની શ્રેણીનું આ સૂર્ય મંદિર છે. વડનગરના આમથેર માતાના મંદિરમાં ઉભેલા પુરાણા નાનકડા શિખર બંધ મંદિર જેવું જ આ મંદિર છે. મંદિરની સુર્યમૂર્તિ જુદા પ્રકારની છે એક ઘોડા ઉપર સવાર કરીને આગળ વધતા સૂર્યદેવને કલાકારે કોતર્યા છે આ પ્રકારની મૂર્તિઓ ગુજરાત કે ભારતમાં બહુ જ થોડી છે.
ગુજરાતનું બીજું સૂર્યમંદિર અમદાવાદ થી હિંમતનગર થઈને શામળાજી જતા માર્ગે ગાંભોઈ થી ભિલોડા જવાના રસ્તે આવતા બામણા ગામ થી થોડે દૂર મેસાણ ગામ પાસેના ચ્યવનતીર્થમા ભુવનેશ્વર મહાદેવના મંદિરના ચોગાનમાં આવેલ છે. પુરાના મંદિર ને પુનરુદ્ધાર દરમિયાન થોડું વિકૃત બનાવવામાં આવ્યું છે સમારંભને ઈંટ અને ચૂનાના રોડા થી દાબી દઇને સભામંડપ ઉપર ગોળ ઘુમ્મટ બનાવવામાં આવ્યો છે. ભુવનેશ્વર નું સૂર્યમંદિર તેની બાંધણી જોતા ઈસવીસન ના 12 માં સૈકાના અંતમાં બંધાયું હોય તેમ લાગે છે. આ સૂર્ય મંદિર મૂળરાજદેવ સોલંકીના સમય પછી બંધાયેલા નાના મંદિરોની શ્રેણીનું છે . સભામંડપના કક્ષાસનથી સ્થંભની કોતરણી શરૂ થાય છે. સભામંડપ ને દરેક ખૂણે અડધેથી કોતરાયેલા પર્ણ કુંભ વાળા નાના સ્તંભો ઊભા છે. સભામંડપના ચંદરવા નું શિલ્પ સિદ્ધપુરની રુદ્રમાળની બાજુમાં આવેલ મસ્જિદ જે પહેલા રુદ્રમાળ નો એક ભાગ હતી તેના સભામંડપની મહદંશે મળતું આવે છે. હાલમાં આ મંદિરમાં સૂર્ય ની જગ્યાએ વિષ્ણુ મૂર્તિ બિરાજે છે, અને સુર્યની મૂર્તિ બાજુનાં નાનકડા મહાદેવના મંદિરમાં પાર્વતીજી ની જગ્યા પાસે પડી છે. વિમાન ભાગના મંડોવર ની જંઘા ઉપરના ગવાક્ષમાં કે કોતરાયેલી સૂર્ય મૂર્તિઓ જોવાલાયક છે. આ પવિત્ર સ્થળ ઇન્દ્રાસિં તથા હાથમતી નદી ઉપર બંધ બંધાતા પાણીમાં ડૂબી જાય છે.
સૌરાષ્ટ્રના સોરઠ પ્રાંતના સોમનાથ પાટણ શહેરથી સાત માઈલ દૂર આવેલ સુત્રાપાડા ગામ માં ચ્યવનકુંડ પાસે એક સૂર્ય મંદિર ઊભું છે. આ સૂર્ય મંદિરમાં સૌરાષ્ટ્રના કોઈ રાજા વેજલદેવ ને સંવત ૧૩૫૭માં સૂર્ય મૂર્તિ પધરાવ્યા ની નોંધ મળે છે. પ્રદક્ષિણા પથ વાળું અને ગૂઢ મંડપ માં ચાર સાદા સ્તંભો વાળું સુત્રાપાડા નું સૂર્યમંદિર બીજા ભીમદેવે બંધાવેલ સોમનાથના મંદિર કરતાં ઘણું અલગ લાગે છે. નિજ મંદિરની દ્વારસાખો તદ્દન સાદી છે સુત્રાપાડાના સૂર્ય મંદિર નો શિખર ભાગ રોડા ના એકાંડી મંદિરથી જુદો પડી જાય છે આ મંદિરમાં સુધારા-વધારા થયા છે એટલે મંદિર ક્યારેય બંધાયું હશે તે કહી શકાય નહીં. પણ બાજુના વરાહ મંદિર સાથે સરખાવીએ તો સુત્રાપાડા નું સૂર્યમંદિર ૧૦માં સૈકા પછી બંધાયું હોય તેમ લાગે છે.
સોલંકી યુગના મહાકાય મંદિરો ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પહેલાના સમયમાં બંધાયા. આ શ્રેણીના મંદિરોમાં મોઢેરાનું સૂર્યમંદિર આવી જાય છે. ભારતભરના મહાકાય સૂર્યમંદિરો સાથે મોઢેરાના સૂર્યમંદિર ને સરખાવી શકાય તેમ છે. કાશ્મીરનું ,માર્તંડ મંદિર અને ઓરિસ્સાનું કોણાર્ક મંદિર મોઢેરાના સુર્યમંદિરની હરોળમાં ઉભા રહી શકે તેવા છે, પણ ત્રણે સૂર્યમંદિરોની શિલ્પશૈલી જુદી હોવાથી સરખામણી થઈ શકે નહીં. છતાં મોઢેરાનું સૂર્યમંદિર સર્વાંગી કોતરણી ની દ્રષ્ટિએ આ ત્રણેયમાં પ્રથમ આવે છે. ગર્ભગૃહ ના એક પથ્થર ઉપર ના લેખ પરથી એમ કહી શકાય કે મોઢેરાનું સૂર્યમંદિર ૧૦૮૩ની સાલ માં બંધાયું હશે. કદાચ આ મંદિર આગળનો સભામંડપ જે મુખ્ય મંદિરથી જુદો છે તે પાછળથી બંધાયો હોય ગુજરાતના મંદિરોમાં સભામંડપ અલગ બાંધવાનો રિવાજ નથી પણ મોઢેરાનું સૂર્યમંદિર આ બાબતમાં જુદું તરી આવે છે. ઓરિસ્સાના મંદિરોમાં સભામંડપ જુદો હોય છે .
ગુજરાતનું જગ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા શહેરની પશ્ચિમ દિશાએ 16 માઈલ દૂર આવેલું છે મુખ્ય મંદિર ની લંબાઈ 51 feet 9 inch અને પહોળાઈ 25 ફૂટ 9 inch જેટલી છે નિજ મંદિરની ત્રણે બાજુ પ્રદક્ષિણા પથ આવેલો છે અને તેની આગળ લંબચોરસ ગુઢ મંડપ આવેલો છે ગુઢ મંડપ નો ઘુમ્મટ ભાગ સ્વસ્તિક સ્તંભોની ઉપર એકવેલો હશે તે પડી ગયો છે સ્તંભો ની ઊંચાઈ સાડા તેર ફૂટની છે અને ૮ સ્તંભો છે ગર્ભગૃહ આગળના સ્તંભો 11:30 ફૂટની ઉંચાઇ ધરાવે છે મંડપના સમારણ ના ઘણાય ટુકડા બાજુમાં પડ્યા છે ગુઢમંડપ અંદરની દીવાલો સાદી છે પણ જુદેજુદે સ્થળે ગવાક્ષમાં સૂર્ય મૂર્તિઓ મુકાયેલી છે.
આખા ગૂઢ મંડપની નીચે સળંગ ભોયરૂ આવેલું છે આ ભોયરામાં થઈને યાત્રિકો મહાકાય સૂર્ય મૂર્તિ ના પાદપ્રક્ષાલન માટે જતા હશે ગૂઢ મંડપની નીચે ભોંયરૂ છે, જ્યારે ગર્ભગૃહના ભાગમાં ભોંયરૂ બનાવવામાં આવ્યું નથી પણ ભોંયરાની ઉંડાઈ જેટલો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે એટલે ગર્ભગૃહ ગુડ મંડપ કરતા સાડા અગિયાર ફૂટ નીચે પડી જાય છે ગર્ભગૃહમાં ઉતરવા માટે હાલમાં એક લોખંડની સીડી રાખવામાં આવી છે ગર્ભગૃહ તરફનું ગુઢમંડપ નીચે ના ભોંયરા ના દ્વારને બંધ કરી દેવામાં આવ્યું છે. સૂર્ય મૂર્તિ આખીય ગુમ થઈ છે.
સભામંડપની આગળ એક લંબચોરસ કુંડ આવેલ છે કુળ ની લંબાઈ 176 અને પહોળાઈ 120 ફૂટ છે સોલંકી યુગમાં બંધાયેલા 10 કુંડોમાં મોઢેરાના સૂર્યમંદિરનો કુંડ પ્રથમ શ્રેણી નો છે. સિધ્ધરાજ જયસિંહ એ બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવ તથા મીનળદેવીએ બંધાવેલ મલાવ અને મુનસર તળાવ ને કાંઠે દેવ મંદિરો બાંધવાની પ્રેરણા કદાચ મોઢેરાના રામકુંડ એ આપી છે. સૂર્ય કુંડ ચાર ખૂણે ચાર મંદિરો આવેલા છે ખરેખર મોઢેરાનું સૂર્યમંદિર તથા સૂર્ય કુંડ સોલંકી યુગના શિલ્પ ની તથા સ્થાપત્યની કમાલ બતાવે છે.
સૌરાષ્ટ્રના ઝાલાવાડ પરગણાના થાન ગામ થી એક માઈલ દૂર એક ટેકરા ઉપર કોઈ પુરાણા શહેરના ખંડેરો વચ્ચે થાન નું સૂર્ય મંદિર કાળ સામે લડતું લડતું ઉભું છે જે જૂના સુરજ દેવળ તરીકે ઓળખાય છે. કાઠીસમાજ દ્વારા હાલમાં થાન થી પાંચેક માઈલ દૂર એક વિશાલ સૂર્યમંદિર બાંધવામાં આવેલું છે કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જ્યારે સૂર્ય ધર્મ વ્યાપક બન્યો હતો ત્યારે થાન અને મોઢેરાનું ધર્મારણ્યવાળુ સ્થળ એ બંને સૂર્યપૂજકો માટે પવિત્ર સ્થળ ગણાતા.થાનનુ જુનું સુર્યમંદિર ઈસ્વીસન ૧૬૯૦મા ગુજરાતના સુબા કારતબખાને તોડી નાખ્યું હતું, તેનું રક્ષણ કરતા કરતા કાઠી સમાજના ઘણાં વીર પુરુષો એ બલિદાન આપ્યા હતા.ત્યા રહેલાં પાળિયા ધર્મ માટે થઈ આપેલ બલિદાન ની સાક્ષી પૂરે છે.
ગાયકવાડ નાં સમયમાં વડોદરા માં પણ એક સુર્યમંદિર બાંધવામાં આવેલું હતું.
ઝાલાવાડમા મૂળી શહેરમા માંડવરાયનુ ભવ્ય સુર્યદેવનું મંદિર આવેલું છે. જેની સ્થાપના પરમાર રાજવી લખધીરસિહે કરી હતી.
ખંભાત પાસેના નગરા ગામમાં. છ ફૂટ ઉંચી આરસની સુર્યમુર્તિ આવેલી છે.
ગુજરાતમાં સંખ્યાબંધ સુર્યમૂર્તિ મળી આવેલી છે. ગુજરાતમાં રહેલા સૂર્ય મંદિરો અને મળી આવેલી સૂર્ય ભગવાનની મૂર્તિઓ એ બતાવી આપે છે કે જૂના સમયમાં ગુજરાતમાં સૂર્ય પૂજા પ્રચલિત હશે. હાલમાં ભલે ગુજરાતમાં સૂર્ય પૂજા ઓછી થઈ હોય પણ સૂર્ય ધર્મનો અસ્ત થયો નથી
------- જય સુર્યનારાયણદેવ--------
(સ્ત્રોત- ગુજરાત નો ભવ્ય ભૂતકાળ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો