![]() |
ફોટો - ગુગલ વીકીપીડીયા ના સૌજન્યથી |
મંદિરોની જુદી જુદી શ્રેણીઓના વિવિધ નમૂનાઓ ગુજરાતમાં છે, તેટલા ભારત વર્ષના બીજા કોઈ પ્રાંતમાં નથી. ચોથા-પાંચમા સૈકાની સૌરાષ્ટ્રના ગોપ મંદિરના પ્રકારની શ્રેણી સાતમા અને આઠમા સૈકાની નાના સભામંડપ વાળી મંદિરો રોડા (રાયસીંગપુર) તથા વર્ધમાન પૂરના રાણકદેવીના મંદિરમાં આ પ્રકારની શ્રેણી હરિચંદ્ર રાજા નુ મંદિર (શામળાજી) તથા પાળેશ્વર મહાદેવ નું મંદિર (વસાઈ) ડાગલા તથા મોઢેરા, દશાવાડા, અને સાંડેરના નાના એકાંડી મંદિરોની શ્રેણી, નાગર શ્રેણીના દેવમાલ, મોઢેરા ,આસોદેવડા, પિલોદરા વિરમગામ, ધુમલી, સેજકપુર વગેરે મંદિરોના પ્રકારના શ્રેણી, રુદ્રમહાલય, સોમનાથ અને તારંગા જેવા તથા દ્વારિકા જેવા મહાકાય મંદિરોની શ્રેણી કુંભારીયા, મહોર તથા પોશીના પાસેના આરસના મંદિરોની શ્રેણી પાલીતાણાના જૈન મંદિરો ની અમુક અંશે એકસરખી પણ થોડી વૈવિધ્યવાળી શ્રેણી ગુજરાતમાં મુસ્લિમ કાળ દરમિયાન મુજ્જફર શાહ ના વખતમાં બંધાયેલ હિન્દુ તથા મુસ્લિમ સંસ્કૃતિ માંથી ઉદ્ભવેલ ઉત્કંઠેશ્વર (ઊંટડીયા) કેદારેશ્વર તથા શુકલતીર્થ વગેરે મંદિરોની શ્રેણી તથા આજ શ્રેણીના પણ વિશાળ એવા રૂપાલ પાસેના વૈજનાથ મહાદેવના મંદિર જેવી શ્રેણી અને મરાઠા કાળ દરમિયાન બંધાયેલ ડાકોરના મંદિર જેવી શ્રેણી વગેરે પ્રકારની શ્રેણીઓ ગુજરાતભરમાં જોવા મળે છે.
ઈસવી સનના ૧૦માં સૈકા માં માળવા, પૂર્વ ગુજરાત, મેવાડ અને મહારાષ્ટ્ર એ પ્રાંતોમાં ભૂમિજા અષ્ટભદ્રીપ્રસાદ શ્રેણીના મંદિરો બાંધવાની શરૂઆત થઈ. આ શ્રેણીનું એક મંદિર ડાકોર થી આઠ માઈલ દૂર મહી નદીના કાંઠા ઉપર અર્ધભગ્ન હાલતમાં ઊભું છે. આ શ્રેણીના શિલ્પોમાં ગળતેશ્વર ના શિલ્પોમાં સોલંકી યુગના શિલ્પની અસર દેખાય છે, છતાં આ મંદિર ભૂમિજા અષ્ટભદ્રીપ્રાસદની આગવી શ્રેણી જાળવીને ગુજરાતમાં ઉભુ છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતની વિવિધ શ્રેણીઓમાં એક નવો મણકો ઉમેરાયો છે. આ જાતના કેટલાક મંદિરો સારી હાલતમાં ઊભા છે, જેમાંના રાણકપુરનું અષ્ટભદ્રીપ્રાસાદ સૂર્ય મંદિર, ગ્વાલિયર પાસે ઉદેપુર ગામનું ઉદયેશ્વર મહાદેવ નું મંદિર, નાસિક પરગણાના સિન્નર ગામનું ગોંડેશ્વર મહાદેવ નું મંદિર વગેરે શિલ્પના પ્રકારની આ બાબતમાં જગતી તથા પીઠથી માંડીને છજા સુધીના ભાગમાં કેટલાક સોલંકી યુગના મંદિરોમાંનું શિલ્પ ગળતેશ્વર ને મળતું છે, પણ શિખર ભાગ તદ્દન જુદો પડી જાય છે, કુંભારિયાનાં જૈન મંદિરો ની પાછળ આવેલા કુંભેશ્વર મહાદેવ ના મંદિર ની જંઘા ઉપરનું શિલ્પ મહદ અંશે ગળતેશ્વર ના શિલ્પ ને મળતું છે. છતાં આ મંદિરોનું બાંધકામ ભૂમિ જા અષ્ટભદ્રીપ્રાસદના પ્રકારનું નથી.
ગળતેશ્વર ના મંદિરના શિલ્પો શિલ્પીએ મનુષ્ય શરીરના ભાગોનું મિનારો અને વૃક્ષો વગેરે શિલ્પ દ્વારા ખડાં કર્યા છે જેને જોઈને હજારો શિલ્પરસિકો શિલ્પ ના નવીન પ્રકારના દર્શન કરે છે. આવા દર્શનાર્થીઓને ગળતેશ્વર ના મંદિર ની દ્વારસાખોની ચારે બાજુ કોતરાયેલ મનુષ્યોની હારમાળા જરૂર જોવી ઘટે.
ગળતેશ્વર ના મંદિરના ગર્ભગૃહમાં જવા માટે પગથિયા ઉતરીને નીચે ઊતરવું પડે છે. કહેવાય છે કે ઉપરવાસથી આવતી ગળતી નદીનું જળ ગલતેશ્વર મહાદેવના લિંગ ને રોજ નવડાવ્યા કરે છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર ગળતી અને મહિસાગર નદીના સંગમ ઉપર આવેલું છે. મુસ્લિમ આક્રમણકારો ના આક્રમણથી મંદિરના શિખર નો ભાગ તોડી પડાયો છે, છતા કાળની સામે લડતું એ અચળ ઉભું છે.
મંદિર ઉપર ના શિલ્પો જોતાં 900 વર્ષ પહેલાં આ પ્રદેશની પ્રજા ને રહેણીકરણી રીતિ-રિવાજ વ્યવહાર ના સાધનો તથા યુધ્ધના પ્રકારના દ્રશ્યો બતાવે છે. મંદિરના શિલ્પો માં મુસાફરીના સાધનો માં પગપાળા, ઘોડે સવારી, હાથીસવારી, પાલખી તથા ઉંટ ગાડી અને રથ વગેરે વાહનો આ શિલ્પમાં જોવા મળે છે. માનવજીવનના જન્મથી માંડીને મરણ સુધીના જુદા જુદા પ્રસંગો આ શિલ્પોમાં કોતરાયા છે.
પુરાણોના પ્રસંગો તથા નવા આઇતિહાસિક પ્રસંગો પણ આ શિલ્પમાં દેખાય છે. દેવ, ગંધર્વ, યક્ષ, કિન્નર, દિગ્પાલ, ઋષિમુનિઓ, નર્તિકાઓ, દેવીઓ વગેરેના શિલ્પ પણ અહીં નજરે પડે છે. ગલતેશ્વરનુ મંદિર મુસ્લિમ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને તોડ્યું હતું. છતાં પણ આજે જોઇએ તો પણ તે સમયની ભવ્યતા અને સમૃધ્ધી કેવી હશે તેની ઝાંખી થયાં વિના ન રહે ! .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો